કેન્દ્ર સરકારે રવિવારે નિર્ણય લીધો છે કે હવે રેશનિંગની દુકાનોની સાથે-સાથે પેટ્રોલ પંપ પર પણ કેરોસીન મળી શકશે. હવે સરકારી ઓઈલ કંપનીઓ નિર્ધારિત પેટ્રોલ પંપો પરથી પણ કેરોસીન રાખી અને વિતરણ કરી શકશે.
દરેક જિલ્લામાં રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન વધુમાં વધુ 2 પેટ્રોલ પંપ પસંદ કરશે, જ્યાં આ સુવિધા આપવામાં આવશે. આ પેટ્રોલ પંપો પર વધુમાં વધુ 5 હજાર લિટર સુધી કેરોસીન રાખી શકાશે.
સરકારે સપ્લાય સરળ બનાવવા માટે 60 દિવસ માટે જાહેર વિતરણ પ્રણાલી (PDS) ના નિયમોમાં છૂટછાટ આપી છે, જેથી જરૂરિયાતમંદ પરિવારો સુધી ઓઈલ સમયસર પહોંચી શકે.
સરકારનો આ નિર્ણય અમેરિકા-ઇઝરાયેલના ઇરાન સંઘર્ષને કારણે લેવામાં આવ્યો છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં ગેસ, પેટ્રોલ-ડીઝલની અછત છે. કેન્દ્ર સરકાર સતત વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી રહી છે.
કેરોસિન મેળવવા માટેની 5 શરતો
- કેરોસિનનો ઉપયોગ ફક્ત ભોજન બનાવવા અને રોશની (પ્રકાશ) માટે જ થશે.
- એક પેટ્રોલ પંપ પર 5,000 લિટર થી વધારે સ્ટોક રાખવામાં આવશે નહીં.
- તમામ સુરક્ષા નિયમો અને સંચાલન માર્ગદર્શિકાનું પાલન જરૂરી રહેશે.
- કેરોસિનના સ્ટોક, સપ્લાય અને વિતરણનો પૂરો રેકોર્ડ રાખવો પડશે.
- પ્રશાસન અને સંબંધિત એજન્સીઓ ગમે ત્યારે આની તપાસ કરી શકે છે.
નિયમોમાં શું છૂટછાટ આપવામાં આવી?
- કેરોસીનનું વિતરણ કરતા એજન્ટો અને ડીલરોને કેટલાક લાયસન્સ લેવામાંથી મુક્તિ આપવામાં આવી
- ટેન્કરોમાંથી કેરોસીન ઉતારવાના (સપ્લાય) નિયમો પણ સરળ કરવામાં આવ્યા
- પેટ્રોલ પંપો પર કેરોસીનનો સંગ્રહ અને વિતરણ કરવાની અસ્થાયી મંજૂરી આપવામાં આવી
સરકાર બોલી- ક્રૂડ ઓઇલનો પર્યાપ્ત સ્ટોક
સરકારના મતે, તમામ રિફાઇનરીઓ ઉચ્ચ ક્ષમતા પર કામ કરી રહી છે અને ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. દેશભરના તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા સામાન્ય છે. ઘરેલું વપરાશને ધ્યાનમાં રાખીને રિફાઇનરીઓમાંથી એલપીજીનું ઉત્પાદન પણ વધારવામાં આવ્યું છે.
કેટલાક રાજ્યોમાં અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર ભીડ અને વધુ વેચાણ જોવા મળ્યું. સરકારે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પ્રકારની અછત નથી અને લોકોને ગભરાઈને ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી છે.
LPG અને ગેસ સપ્લાયની સ્થિતિ
- ઘરેલું એલપીજીનો પુરવઠો સામાન્ય છે, કોઈ ડિસ્ટ્રીબ્યુટર પર અછતની જાણ નથી
- એક દિવસમાં 55 લાખથી વધુ સિલિન્ડર ડિલિવર કરવામાં આવ્યા
- ઓનલાઈન બુકિંગ વધીને 94% સુધી પહોંચ્યું
- CNG અને PNG ગ્રાહકોને 100% પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે
કેરોસીન અને વૈકલ્પિક ઇંધણ પર ભાર
સરકારે રાજ્યોને વધારાના 48000 કિલો લિટર કેરોસીન ફાળવ્યું છે. એલપીજીની માંગ ઘટાડવા માટે કેરોસીન અને કોલસા જેવા વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
સરકારે સિટી ગેસ કંપનીઓને હોટેલ, રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ સંસ્થાઓમાં PNG કનેક્શન વધારવા નિર્દેશ આપ્યા છે. ઔદ્યોગિક અને કોમર્શિયલ ગેસ ગ્રાહકોને હાલમાં સરેરાશ વપરાશના 80% ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે.